Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

યહ તત વહ તત એક હૈ, એક પ્રાન દુઈ ગાત
અપને જિયસે જાનિયે મેરે જિયકી બાત

આ શરીરમાં જે તત્વ છે ને પેલા શરીરમાં જે તત્વ છે તે તો બંને એક જ શરીર બે છે પણ અંદર રહેલો પ્રાણ તો એક જ છે. તેથી મારા હૃદયની વાત તમે તમારા હૃદયથી જાણી લો.

નોંધ :  દરેકની શરીરમાં ચૈતન્ય સ્વરૂપે જણાતું જે આત્મતત્વ છે તે એક જ એવો મહાપુરૂષોનો અનુભવ છે. મૂઢ મનમાં જડતા રહેલી હોવાથી આપણે સામાન્ય રીતે એવો અનુભવ કરી શકતા નથી. પરંતુ સ્હેજ મહેનત કરીએ ને જડતા ઓગળી જાય તો બૌદ્ધિક રીતે પણ આપણને પ્રતીતિ થઈ જાય છે. આપણે ત્યાં તૈલંગ સ્વામી થઈ ગયા. સ્વામી દયાનંદ સરસ્વતી કાશીમાં હતા ત્યારે તેઓ પણ કાશીમાં રહેતા હતા. કેટલાક બુદ્ધિજીવીઓ તે જમાનામાં અંગ્રેજી ભણેલા હતા તેઓ સ્વામીજીને ઢોંગી સાધુ સમજતા હતા. તેથી એક દિવસ તેવા માણસોના જૂથે તૈલંગ સ્વામીની કસોટી કરવા પ્રયત્ન કર્યો હતો. કળી ચૂનાનું પાણી એક ડોલમાં ભરીને તૈયાર કર્યું હતું. તે દૂધ જેવું દેખાતું હતું. તૈલંગ સ્વામી રસ્તેથી પસાર થતા હતા ત્યારે તેમાંથી એક જણે નમસ્કાર કરીને કહ્યું કે ‘સ્વામીજી’, આ દૂધ લઈ લો. અમને આનંદ થશે.’ તૈલંગ સ્વામી તો આખી ડોલ ગટગટાવી ગયા. જેમ જેમ તેમના પેટમાં પાણી ઉતરતું ગયું તેમ તેમ પેલી ટોળીના લોકોને બળતરા થવા માંડી. સ્વામીજી તો પીને શાંતિથી ઊભા રહ્યા હતા. પેલા લોકો બૂમાબૂમ કરીને રડતા હતા. કળી ચૂનાનું પાણી તેમને બળતરા કરાવતું હતું. ખરેખર તો તે પાણી સ્વામીજીએ પીધું હતું. છતાં બળતરાનો અનુભવ કસોટી કરનારને જ થયો. ત્યારે સ્વામીજીની કૃપાથી તેમને શાંતિ મળી હતી. ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે “જે તત્વ મારામાં છે તે જ તમારામાં છે. બોલો કસોટી કોની કરશો ?”

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,887
pdf-1અનંત સૂર | Anant Soor 10,575
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,379
pdf-3Amar Varso | અમર વારસો 8,026
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,085